અધ્યાય-૧૮ ઇશ્વરીય પ્રકાશ

પાના નંબર – ૧૯૯
  • રામકૃષ્ણ બોલ્યાઃ
  • આમ મેં તને “અંદરના જીવન” ને બરોબર સમજાવ્યું છે. “અંદરના જીવન” ની આંખ ઉઘડે એટલે તે “ભૌતિક વિકાસ” ની આંખ ઉઘાડે તે “ભૌતિક વિકાસ” નો સાત્વિક ઉપયોગ કરી શકે.(૧)
  • “ભૌતિક વિકાસ” એટલો બધો લોભામણો હોય છે કે તે “અંદરના જીવન” ને સમજવા દેતો જ નથી અને “અંદરના ભાવો” ઉપર કાબૂ મેળવી લે છે.(૨)
  • આ ભાવો મર્યાદા વગર વધવા માંડે છે. અને તેની પાછળ “મન” અને “મન” ની પાછળ બુદ્ધિ દોડાવે છે. આથી “અંદરના જીવન” ની ગતિ ઉંધી થઇ જાય છે. અને “નારાયણ-ભાવ” તરફની ગતિ આવતી જ નથી. ઇશ્વર સમજાતો જ નથી.(૩)
  • આખરે “ભૌતિક વિકાસ” મનુષ્યના સાત્વિક સુખ માટે છે તે વાત જ ભૂલી જવાય છે. અત્યારના સમાજની આવી વિશિષ્ટ ગતિ તારે જોવાની છે.(૪)
  • “ભૌતિક વિકાસ” ને જ્ઞાન-ચક્ષુથી જોઇ તેના ઉપર આપણો કાબૂ રાખી તે સાત્વિક બાજુ વળે અને આપણામાં સાત્વિક પરીણામ લાવે તે જોવાનું છે.(૫)
  • પાના નંબર – ૨00
  • “ભૌતિક વિકાસ” પણ ઇશ્વરના તાબામાં છે. સમગ્ર પદાર્થ એક મહાન અદૃશ્ય, એક અને અનંત તાકાતના તાબામાં છે અને બધુ જ તેના સ્થાપિત નિયમો મુજબ ચાલે છે. તે નાની વાત આપણે સમજવાની છે. (૬)
  • “ભૌતિક વિકાસ” એ કશું જ નથી. પણ ઇશ્વરીય સ્થાપિત નિયમોનું જ્ઞાન અને તેના દ્વારા હયાત પદાર્થોનું પરિવર્તન છે. અને આ બધા ઉપર ઇશ્વરનું અધિપત્ય છે. આવી જાતનું ઊંચું જ્ઞાન ધરાવી અને “અંદરના જીવન” ને સાત્વિક બનાવી ઇશ્વર તરફ જ દૃષ્ટિ રાખતો મનુષ્ય શ્રેષ્ઠ મનુષ્ય છે.(૭)
  • આમ સમગ્રતયા ઇશ્વરનું જ અધિપત્ય છે. તેના વ્યવસ્થિત સામ્રાજ્યના આપણે સભ્ય છીએ તેવું જ્ઞાન આપણે લાવવાનું છે.(૮)
  • દરેક ભાવોને સાત્વિકતાની સપાટીમાં રાખી, દરેક સાધનોનો સાત્વિક ઉપયોગ કરી મહાન “મનુષ્યત્વ” ને સમજી, તેના “એકત્વ” નો ખ્યાલ રાખી મહાન ઇશ્વરને સમજી જીવનને ઇશ્વરીય જીવન બનાવી જીવતો મનુષ્ય ઇશ્વર બની જાય છે.(૯)
  • તને “અંદરના જીવન” નો મેં ખુબ જ ઊંડો ખ્યાલ આપ્યો છે. “મા” ની ભક્તિથી “મા” એ જ તને “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના રૂપો બતાવ્યા છે. તારે આ રૂપોમાં લીન થવાનું છે. અને તે દ્વારા ઇશ્વરમાં વિલીન થવાનું છે.(૧0)
  • પાના નંબર – ૨0૧
  • મેં આપેલા આ જ્ઞાનથી તારી ઇશ્વર તરફની ગતિ વધશે અને ઇશ્વર એક, અનંત, અવિનાશી, મહાન તાકાત છે તે સમજાશે. ધર્મોની “ભિન્નતા” થી તું પર થઇ જઇશ અને “ઇશ્વર” નો દિવ્ય પ્રકાશ મેળવીશ.(૧૧)
  • તારા મનમાં હજુ પણ “મા, “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના ભિન્નત્વનો ખ્યાલ છે. જેમ આગળ વધીશ તેમ બધું “એકાકાર” થતું લાગશે. અને પછી “દિવ્ય પ્રકાશ” દેખાશે. ત્યારબાદની ગતિ કોઇ વર્ણવી શકતું નથી. કારણ આ મેળવ્યા પછી ઇશ્વરમાં વિલીન થઇ જવાય છે.(૧૨)
  • આ અવસ્થા ખૂબ ઊંચી છે. ઇશ્વરમાં વિલીન થયેલાં રૂપોને પૃથ્વી ઉપરના કોઇપણ મનુષ્ય યાદ કરે કે તરત જ આ દિવ્ય પ્રકાશમાંથી તે રૂપે ઇશ્વર આવે છે અને માર્ગદર્શન આપે છે. આ એક વૈજ્ઞાનિક મહાન સત્ય છે, એમ તું માન.(૧૩)
  • દુનિયાના ખૂણે ખૂણે આવા વૈજ્ઞાનિક બનાવો બન્યા જ છે. પરંતુ “ભૌતિક વિકાસ” ની આંખે જોતી દુનિયા તેને મહત્વ આપતી નથી.(૧૪)
  • આ “અંદરના વિકાસ” ની મહત્વની વાત માની મહાન દિવ્ય થઇ ગયેલા માનવોના રૂપો આગળ વિનંતિપૂર્વક હૃદયના ઉંડાણથી આત્માને સાથે રાખી આજીજી કરો. વિનંતિ કરો તો તરત જ તે રૂપ “દિવ્ય-પ્રકાશ” માંથી આવશે અને તમોને માર્ગદર્શન આપશે જ. (૧૫)
  • પાના નંબર – ૨0૨
  • તમારૂં કામ આ “દિવ્ય થઇ ગયેલા માનવો” ને ઓળખવાનું છે. “ઇશ્વર” ની સાથે “એકાકાર” થઇ ગયેલાં મનુષ્યો “ઇશ્વરનું રૂપ” જ બની જાય છે. (૧૬)
  • આથી તને “મા”, “બ્રહ્મનારાયણ”, “બ્રહ્મલક્ષ્મી” ના ભિન્નત્વ સમજાવતો નથી. તારે આ દ્વારા ઇશ્વરના દિવ્ય પ્રકાશ તરફ જવાનું છે. માએ તારા જીવનના બતાવેલા માર્ગે આગળ વધી તારે આ “દિવ્ય-પ્રકાશ” માં ભળી જવાનું છે.(૧૭)
  • “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના રૂપો પરમ સુખ અને માત્ર સુખ, પરમ આનંદ, પરમ સૌભાગ્ય, પરમ યશ, પરમ સંપત્તિની પરમ શાંતિ આપનારા છે. તેના સેવનથી રાજસ અને તામસ ભાવોમાં ઘટાડો થાય છે. અને સાત્વિકતા વધે છે. સાત્વિકતા વધવાથી “ઇશ્વર” નું મહાન જ્ઞાન પ્રગટે છે. અને “ઇશ્વરનો દિવ્ય પ્રકાશ” દેખાય છે. એકવાર આ “દિવ્ય-પ્રકાશ” મેળવ્યા બાદ બધું આપોઆપ મળી જાય છે. અને સમગ્ર વિશ્વના અણુએ અણુમાં આપણું અસ્તિત્વ પ્રતીત થાય છે.(૧૮)
  • “મા” ની અપાર કૃપા તારા પર ઉતરી છે.અને માના આદેશ અનુસાર જ મેં તને જ્ઞાન આપ્યું છે.(૧૯)
  • ભાનુ બોલ્યાઃ
  • ઓ મહાન દેવા, ઓ કરૂણાસાગર, બ્રહ્મનારાયણ સ્વરૂપ રામકૃષ્ણા, મેં તમારૂં જીવન વાંચ્યું નથી. તમોને ફોટો દ્વારા જ જોયા છે.
  • પાના નંબર – ૨0૩
  • તમારો કોઇ અભ્યાસ કર્યો નથી. તમારા મોટા મોટા મંદિરો ચાલે છે. અસંખ્ય અનુયાયીઓ તમારી સેવા કરી રહેલા છે. તો પણ તમે મને પસંદ કેમ કર્યો? મારા જેવા અલ્પાંશ પર આટલી બધી કૃપા કેમ કરી? ઓ દેવા, મર્યાદિત બુદ્ધિમત્તા ધરાવતા મારા જેવાને આ સોના કરતાં પણ કિંમતી જ્ઞાન કેમ આપ્યું? દેવા, હું તમારી અપાર કૃપા સમજી શકતો નથી.(૨0)
  • રામકૃષ્ણ બોલ્યાઃ
  • બેટા, મારા ફોટાના સેવનથી તારી હૃદયની એકાગ્રતામાં મારી સાથેનો તાર સંધાઇ ગયો. એકવાર તાર બંધાઇ જાય પછી તું સહેજ યાદ કર એટલે હું આવું જ. તને ઉપર લેવા મેં પ્રથમ તને માની આંગળી પકડાવી લીધી. તને દરરોજ અને વાર્ષિક પૂજા કરવાનું કહ્યું. તેં પણ પૂરી નિષ્ઠાથી મારૂં કહ્યું માન્યું. તારો તાર માની સાથે જોડાઇ ગયો. યાદ કરતાંની સાથે “મા યોગામ્બા” સ્વરૂપે તારી પાસે આવવા લાગી. (૨૧)
  • “ભૌતિક વિકાસ” માં માનસિક રીતે અંધ થયેલા માણસો આ માને નહીં. તને મેં આંગળી ચીંધેલી વાતને વૈજ્ઞાનિક રીતે સ્વીકારી ખુબ જ શ્રદ્ધાપૂર્વક માની. તારી આંખ તેં વૈજ્ઞાનિક રાખી અને અંદરનું હૃદય ખૂબ જ સાત્વિક શ્રદ્ધાવાળું રાખ્યું.(૨૨)
  • આવી અનન્ય પરિસ્થિતિ બાદ મેં તને “વિશ્વ સંગીત” નું જ્ઞાન આપ્યું, પરંતુ તે તું બરાબર ઝીલી ના શક્યો. છતાં તે ઇશ્વરીય જ્ઞાન હતું અને પચાવવામાં પારા જેવું હતું. તેં તે જ્ઞાન પચાવ્યું.(૨૩)
  • પાના નંબર – ૨0૪
  • મેં તને તે પુસ્તક બહાર વેચવાની ના પાડી અને તેની પૂજા કરવાનું કહ્યું અને વિશ્વાસ આપ્યો કે આ પુસ્તકની પૂજા કર. અને માની પૂજા તું કરે છે. તેમ તું ચાલુ રાખ.(૨૪)
  • દુનિયાના કાદવની વચ્ચે તું મનની એકાગ્રતાથી જીત્યો. તારા આત્મા, હૃદય અને મનને તેં જળકમળવ્રત રાખ્યા અને ઇશ્વરીય સેવન કર્યું. મારામાં એક શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો અને મનને ડગવા ના દીધું. (૨૫)
  • મને તો ખબર હતી જ કે “મા ભોળી અને દયાળુ છે”. તારા ચૌદ વર્ષના “વિશ્વ સંગીત” ના સેવન બાદ અને સાથે માના સેવન બાદ માએ જાતે તને “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના રૂપો બતાવ્યા.(૨૬)
  • બેટા, ઇશ્વર એક જ છે. તેને પામવાના રસ્તા અનેક છે. મેં તને “મા” નો રસ્તો બતાવ્યો, તું તે રસ્તે આગળ વધ્યો. (૨૭)
  • “મા” ની અંદરની તાકાત “બ્રહ્મનારાયણ” “બ્રહ્મલક્ષ્મી” ના રૂપો તારી આગળ ધરી માએ તેમનું ભાવાત્મક રૂપ પ્રગટ કર્યું. આ રૂપમાં લીન થવાથી આપોઆપ તમામ પ્રકારના સાત્વિક સુખ, આનંદ, શાંતિ, યશ અને સમૃદ્ધિ મળે છે. (૨૮)
  • સમાજમાં જીવવાનો તમારો માર્ગ મોકળો થઇ જાય છે. સાત્વિક સ્વરૂપે, સાત્વિક મનથી અને સાત્વિક હૃદયથી, આત્માની એકાગ્રતાથી આ રૂપોનું સેવન કરવાથી અંતે “તેજ પૂંજ” દેખાય છે.(૨૯)
  • પાના નંબર – ૨0૫
  • આ “તેજ-પૂંજ” ને હું “દિવ્ય-પ્રકાશ” કહું છું. આ તેજ પૂંજમાં તું જેવું રૂપ જોવા માંગ તેવું રૂપ દેખાવા લાગે છે. ઇશ્વરને ખરા સ્વરૂપે પામેલા બધાં જ આ “તેજપૂંજ” એટલે કે દિવ્ય પ્રકાશમાં ઓગળી જાય છે. (૩0)
  • જ્યારે પૃથ્વી પરનો મનુષ્ય ઇશ્વરનો પોકાર કરે છે ત્યારે તે જે દિવ્ય સ્વરૂપે તેને પોકારે છે તે સ્વરૂપ આ “દિવ્યપૂંજ” માંથી નીકળે છે.(૩૧)
  • ફક્ત ઇશ્વરનો હૃદય સાથેનો તાર બંધાય તે અગત્યનું છે. ઘણીવાર અતિ સાત્વિક મનુષ્યને આ તાર તરત જ બંધાઇ જાય છે. ઘણાને જન્મથી બંધાયેલો હોય છે અને ઘણા ખૂબ જ ભક્તિ કર્યા છતાં હૃદયની સાત્વિકતા નહીં લાવી શકવાને કારણે આ સંધાણ કરી નથી શક્યા.(૩૨)
  • ઘણીવાર ઘણાં પોતાની મુશ્કલીઓ દૂર કરવા માટે જ “ઇશ્વર-ભજન” કરે છે. આમને ઇશ્વરની કૃપા મળે છે પરંતુ ઇશ્વર મળતો નથી. (૩૩)
  • એકવાર આ વૈજ્ઞાનિક હકીકત કે “ઇશ્વર છે.” જડ, ચેતન અને સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનાર એક, અગમ્ય, અજન્મા, અજ્ઞેય, અલક્ષ્ય, અજા, એકા અને નેકા શક્તિ રહેલી છે, તે જોઇ શકાતી નથી. પણ અનુભવી શકાય છે તે વાતનો સ્વીકાર થાય અને બુદ્ધિ, મન અને આત્મા તેનો સ્વીકાર કરી તેને પ્રાર્થના કરે એટલે આ શક્તિ આપોઆપ તેની મદદે આવે છે. (૩૪)
  • પાના નંબર – ૨0૬
  • પ્રાર્થનાથી અદ્દભુત તાકાતના દર્શન થાય છે. “મન” થી અદ્દભૂત તાકાત દેખાય છે. બુદ્ધિ “મન” ને તાબામાં લઇ “મન” ને ઇશ્વર તરફ સાત્વિક રીતે રાખે એટલે “મન” ની અગાધ તાકાતથી તે “ઇશ્વરમય” થઇ જાય છે. જેવું “મન” ઇશ્વરમય થઇ જાય કે તરત જ ઇશ્વરના અગમ્ય દિવ્ય અનુભવ થવા માંડે છે. (૩૫)
  • એકવાર ઇશ્વરનો આવો અનુભવ થાય પછી સાત્વિક બુદ્ધિ અને મનવાળો મનુષ્ય આ છોડતો નથી. આમ પ્રાર્થનાની અદ્દભૂત તાકાતથી ઇશ્વરને અનુભવી શકાય છે, અને તે પછી જે રૂપમાં જોવો હોય તે રૂપમાં દેખાય છે.(૩૬)
  • “ભૌતિક વિકાસ” માં આંધળા થયેલા અને “સંપતિ”માં આળોટતાં માણસો મૂળભૂત વસ્તુ “ઇશ્વર” ને ભૂલી જાય છે. આ અદૃશ્ય તાકાત કામ કરી રહી છે તે માનવા પણ તૈયાર થતા નથી. અંતે તેમનું પતન થાય છે.(૩૭)
  • તારા ભાગ્ય તો જો. તારા ખદબદતાં જીવનમાંથી તારા મન અને હૃદયને તેં સાત્વિકતા બાજુ વાર્યા. માને મારા કહ્યા મુજબ ભજ્યા. તને માના સ્વરૂપના દર્શન થયાં. અને માએ જ તને “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના તેજસ્વી રૂપો બતાવ્યા.(૩૮)
  • તું આ તેજસ્વી રૂપો જગતને બતાવ અને જગતમાંથી દુઃખ, દારિદ્રય, અસંતોષ, પીડા દૂર કર. જગતને આ રૂપોમાં લીન થવા માટે અંગુલીનિર્દેશ કર. આ રૂપો બતાવવા પાછળ માનો આ જ હેતુ છે.(૩૯)
  • પાના નંબર – ૨0૭
  • તારે જગતને “ઇશ્વર” ના દર્શન આ રસ્તે કરાવાવના છે. અંતે દરેક ધર્મ, પંથ આ જ એક અવિનાશી “ઇશ્વર” પાસે લઇ જાય છે.(૪0)
  • “ઇશ્વર” ને ઓળખ્યા બાદ તેનું સેવન કરવાથી અચૂકમાં અચૂક “દિવ્ય-પ્રકાશ” અંદર થાય છે. અને મનુષ્ય અંતમાં તેમાં ઓગળી જાય છે. આને “બ્રહ્મ-ધામ” કહેવાય છે. અહીં પહોંચ્યા બાદ તે “દિવ્ય-પ્રકાશ” નો એક ભાગ બની જાય છે.(૪૧)
  • ભારતીય શાસ્ત્રનું સનાતન સત્ય આ એક એવું પૂર્ણ છે કે તેમાં પૂર્ણ ઉમેરો તો પણ પૂર્ણ રહે છે. પૂર્ણ બાદ કરો તો પણ પૂર્ણ રહે છે. પૂર્ણ વડે ગુણો કે ભાગો તો પણ પૂર્ણ રહે છે. આ એક અવિનાશી અનંત, સર્વત્ર અસ્તિત્વ ધરાવતી અને સર્વ પર અધિપત્ય રાખતી મહાન શક્તિ છે.(૪૨)
  • આ “સનાતન સત્ય” નાશ પામતું નથી. આ શક્તિને કોઇ જીતી શકતું નથી. પરંતુ આ શક્તિ પ્રેમથી, પ્રાર્થનાથી, વિનંતીથી જીતી શકાય છે અને સાત્વિકતા તેનો પાયો છ.(૪૩)
  • ચૌદ-વર્ષની તારી સાધના બાદ તને આ જ્ઞાન આપ્યું છે. તારી અડગ શ્રદ્ધા અને ભક્તિથી તને પ્રાપ્ત થયું છે. સંસારમાં રહેવા છતાં અશક્ય તેવું સાત્વિક મન, બુદ્ધિ રાખી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી છે તેનું આ પરીણામ છે. હું પણ ઇશ્વરેચ્છાએ જ આ કામ કરૂં છું. તને મારા રૂપમાં અકલ્પ્ય વિશ્વાસ અને શ્રદ્ધા છે. તું શું છે? તું મારો કોણ છે? આ પ્રશ્નોમાં ઉતર્યા વગર તું મારો જ પુત્ર છું તેવો વિશ્વાસ કર.(૪૪)
  • પાના નંબર – ૨0૮
  • તું હજું પણ તારી ભક્તિ અને ઇશ્વરનું રટણ ચાલુ જ રાખજે. માએ બતાવેલ ઇશ્વરીય રૂપો “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” માં લીન થજે. કોઇ શંકા, કુશંકા રાખ્યા વદર “મા” એ દર્શાવેલ માર્ગે પ્રયાણ કરજે.(૪૫)
  • “ઇશ્વરીય તાકાત” તારી જોડે જ છે. સતત તને મદદ કરવા, માર્ગદર્શન આપવા તે કાર્યરત છે. તારે તો તેનામય થઇ જવાનું છે અને અંતે તેમાં મળી જવાનું છે.(૪૬)
  • બેટા, ખ્યાલ રાખજે, તારામાં કોઇ અભિમાનનો ગુણ ના આવી જાય. “ભૌતિક વિકાસ” તારા “અંદરના” વિકાસને રૂંધી ના નાખે. તારા મન, હૃદય, બુદ્ધિ અને આત્માને સદાકાળ અંદરથી જાગ્રત રાખજે. (૪૭)
  • અર્જુનની માફક તારા મનના ભાવો, મન અને બુદ્ધિને “નારાયણ-ભાવ” ના શરણે મુકી દે અને વિશ્વાસ રાખ તે તારૂ કલ્યાણ અને માત્ર કલ્યાણ કરશે. (૪૮)
  • મેં આપેલું આ જ્ઞાન જે વાંચશે તેનામાં “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ના તેજો આવશે. અને જે “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” નું સેવન, પૂજન અને ધ્યાન કરશે તેને આપોઆપ ઇશ્વરીય મદદ મળતી થશે. તેનાં દુઃખ, મુશ્કેલી, પીડા દૂર થશે. તેની તમામ પ્રકારની આર્થિક મુશ્કેલી આપોઆપ દૂર થશે. તેં દિવ્ય સુખ, શાંતિ, સમૃદ્ધિ, ભક્તિ અને યશનાં માર્ગે આગળ વધશે. અને અંતે “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ને પામશે.(૪૯)
  • પાના નંબર – ૨0૯
  • આ જ્ઞાન-સંવાદ હું પૂર્ણ કરૂં છું. મારા તને દિવ્ય આર્શીવાદ છે. આમ કહી રામકૃષ્ણ અદૃશ્ય થયાં.(૫0)
  • ભાનુ પોતાનામાં આવી રહેલ દિવ્ય તાકાત અનુભવી રહ્યો. (૫૧)
  • “મા” ની દિવ્યકૃપા ભાનુ ઉપર ઉતરી છે તે યાદ કરી ભાનું “મા” માં લીન બન્યો અને “મા” માંથી પ્રગટતી બે મુર્તિઓ “બ્રહ્મનારાયણ” અને “બ્રહ્મલક્ષ્મી” ને ભાનું જોઇ રહ્યો. (૫૨)
  • તેના મુખમાંથી આપોઆપ માએ આપેલા મંત્રો “ऊँ શ્રી હી શ્રી બ્રહ્મનારાયણાય નમઃ” અને “ऊँ શ્રી હીં શ્રી બ્રહ્મલક્ષ્મયૈ નમઃ” નીકળવા લાગ્યા.(૫૩)
  • રામકૃષ્ણે જાતે જ આ જ્ઞાન પૂર્ણ છે તેમ કહેવાથી ભાનુએ પૂર્ણતા અનુભવી અને ધ્યાનમાં મસ્ત બન્યો. (૫૪)
  • “મા” નો દિવ્ય પ્રકાશ ભાનુની ફરતે ફરતો હોય તેવું ભાનુએ અંદરથી અનુભવ્યું.(૫૫)
  • આમ આ “ભક્તિવાણી” અહીં પૂર્ણ થાય છે. (૫૬)
  • અધ્યાય ૧૮ મો સમાપ્ત