અધ્યાય-૮ મનુષ્ય ધર્મ – ૨

પાના નંબર – ૫૮
  • રામકૃષ્ણ બોલ્યાઃ
  • ભાવોથી ચાલતો મનુષ્ય “સ્વાર્થી” હોય છે. (૧)
  • નાનામાં નાની ચીજ માટે તે પોતાનો સ્વાર્થ જ નજર સમક્ષ રાખે છે. (૨)
  • સારાસારનો વિચાર પણ તે કરતો નથી.(૩)
  • આ સ્વાર્થમાં મનુષ્ય રાચે છે, અને બીજાને મોટું નુક્શાન કરે છે.(૪)
  • સ્વાર્થના ભાવમાં ખૂબ જ વિંટળાયેલા મનુષ્યને ઘણીવાર પોતાને લાભ ન થતો હોય તો પણ બીજાને નુક્શાન કરવાનો ભાવ આવી જાય છે. તેમાં તેને મજા આવે છે. આને “પરપીડન” કહેવામાં આવે છે.(૫)
  • ભારતીય શાસ્ત્રોમાં “ભાવો” નો ખૂબ જ ઉંડાણપૂર્વકનો વૈજ્ઞાનિક અભ્યાસ થયેલો છે. (૬)
  • જેવું “કર્મ” કરો કે આપોઆપ પ્રકૃતિમાં તેના ફળનું નિર્માણ થઇ જાય છે, અને ભવિષ્યની આત્મા” ની ગતિ નક્કી થાય છે. (૭)
  • પાના નંબર – ૫૯
  • આજની પળનું “કર્મ-બિંદુ” નક્કી કરવામાં ખૂબ જ કાળજી રાખવી જોઇએ. કારણ કે “બિંદુ” નાં સ્થાનફેરથી આગળ જતાં વધતાં અતંરનો ખ્યાલ કરવો જોઇએ.(૮)
  • મનુષ્યને મનુષ્ય સાથે રહેવા માટે પ્રભુએ વાણી આપી છે. (૯)
  • કોઇને કશું જ આપ્યા વગર વાણીથી આનંદ, પ્રેમ, સાંત્વના, હૂંફ આપી શકાય છે. (૧0)
  • કટુ-વાણી બોલવાથી બીજાને દુઃખ ઉત્પન્ન થાય છે. બીજાને દુઃખ ઉત્પન્ન કરવાથી આપણા માટે તેનું કર્મફળ ઉત્પન્ન થશે તેનો ખ્યાલ રાખવો જોઇએ. (૧૧)
  • ઘણાંને જીભ પર કાબુ જ નથી હોતો પોતાને કંઇ ન મળતું હોય તો પણ બીજા માટે ખરાબ શબ્દો અપમાનજનક વાણી બોલે જ જાય છે અને આમ કરી પોતાને માટે “કર્મ-બંધન” ઉત્પન્ન કરે છે. (૧૨)
  • દરેક મનુષ્યએ વિચાર કરવો પડે કે મહાન ઇશ્વરે આપેલી વાણીથી તે જ્ઞાન, પ્રેમ, સાંત્વના ઉત્પન્ન કરે. આ મનુષ્ય-ધર્મ છે. (૧૩)
  • પ્રકૃતિની અન્ય શક્તિઓ આગ, વીજળી ઇલેક્ટ્રોનિક શક્તિ, પ્રકાશ-શક્તિ અને બીજી અનેક શક્તિઓ ઇશ્વરે મનુષ્યના કલ્યાણ માટે બનાવી છે.(૧૪)
  • આ શક્તિઓને મનુષ્યના કલ્યાણ માટે જ વાપરવી જોઇએ. (૧૫)
  • આ પ્રકૃતિનો સ્પષ્ટ આદેશ છે. (૧૬)
  • પાના નંબર – ૬0
  • આ “આદેશ” થી વિરુદ્ધ વર્તી આ શક્તિઓને બીજા “મનુષ્ય” ના દુઃખો વધારવા વાપરે એટલે કે આ શક્તિઓનો ઉપયોગ બીજા મનુષ્યના માટે તેના જીવનના વહેણમાં અવરોધ ઉત્પન્ન કરવા માટે વપરાય એટલે “ઇશ્વરી આદેશ” નો અનાદર થયો કહેવાય (૧૭)
  • આનું “કર્મ-ફળ” નક્કી થઇ જ જાય છે અને તમારી “ભવિષ્યની ગતિ” નક્કી થાય છે.(૧૮)
  • આમ પ્રકૃતિની તમામ શક્તિઓ મનુષ્યો અને ચૈતન્ય પ્રાણીઓના કલ્યાણ માટે વાપરવી તે મનુષ્ય-ધર્મ છે.(૧૯)
  • મનુષ્યના વહેણમાં વહેતાં બીજા મનુષ્ય આપણને ઇજા પહોંચાડે અને તે મનુષ્યને પોતાની ભૂલનો અહેસાસ થાય અને “ક્ષમા” માંગે તો “ક્ષમા” આપવાની ઉદારતા મનુષ્યએ કેળવવી જોઇએ. આ મનુષ્ય-ધર્મ છે.(૨0)
  • મનુષ્યના વહેણમાં વહેવા માટે જરૂરી ઉપલબ્ધિ કરતાં વધુ ઉપલબ્ધિ હોય તો બીજા વહેતા મનુષ્યો કે જેમની પાસે તે ઉપલબ્ધિ નથી તેને આપવી તે મનુષ્ય ધર્મ છે. દરેક મનુષ્યએ આવી ઉદારતાનો ગુણ મનુષ્ય-ધર્મ તરીકે કેળવવો જોઇએ. (૨૧)
  • તું જ્યાં ઉભો છે ત્યાં પ્રકૃતિએ તને તારા સંપર્કમાં આવતાં મનુષ્ય-બિંદુઓ માટે સુખ ઉત્પન્ન કરવા મૂક્યો છે તેમ સમજવું જોઇએ અને વહેણમાં સંપર્કમાં આવતાં મનુષ્ય માટે પોતાની શક્તિ મુજબ સુખ ઉત્પન્ન કરવું જોઇએ.(૨૨)
  • પાના નંબર – ૬૧
  • “મનુષ્ય જીવન” ના વહેણને બરાબર સમજવું જોઇએ અને શરીરના ભાવોને બરોબર સમજવા જોઇએ. (૨૩)
  • “ક્રોધનો ભાવ” ખરાબ થતું અટકાવવા પ્રભુએ પેદા કરેલ છે.(૨૪)
  • આને સમજવા માટે તું વિચાર કરઃ એક બાળક આગમાં હાથ નાખે છે. તે વખતે મા તેના પણ છણકો કરી અટકાવે છે. તે બાળકનાં કલ્યાણ માટે છે.(૨૫)
  • આમ મનુષ્યનાં તમામ “ભાવો” દરેક મનુષ્યમાં હોય છે, તે તારામાં પણ છે. આ ભાવોને ઓળખી તે ભાવોને બીજા મનુષ્યના કલ્યાણ માટે ઉપયોગ કર.(૨૬)
  • બીજા મનુષ્યના જીવનના વહેણના અવરોધો ઓછા કર તેનાં દુઃખ, પીડા, ચિંતા, ઓછા કર આ મનુષ્ય-ધર્મ છે.(૨૭)
  • તારે કરવા પડતાં દરકે કાર્યને આ દિશામાં ગતિ આપ.(૨૮)
  • તને પ્રભુએ આપેલા હાથ, પગ, આંખો, મગજ અને બુદ્ધિથી બીજા મનુષ્યને કશું નુક્શાન નથી થતુંને તેનો સતત ખ્યાલ રાખ.(૨૯)
  • તારા શરીરના તમામ ભાવોનું સંચાલન ભાવો દ્વારા નહિ પણ “નારાયણ-શક્તિ” દ્વારા થાય તેવી માનસિક સ્થિતિ લાવ.(૩0)
  • જીવનનું વહેણ છે, આમાં ક્યાંક ને ક્યાંક કોઇ બીજાને અડચણ થવાની છે. આ અડચણ બને તેટલી ઓછી થાય તે રીતે જીવન વહે તે મનુષ્ય ધર્મ છે.(૩૧)
  • પાના નંબર – ૬૨
  • શરીર નાશવંત છે. તેવું વિચાર. અંદર રહેલા “આત્મા” મહાન ચૈતન્ય બિંદુ છે. તે અજર, અમર છે. તેનો કદિ નાશ થતો નથી. તે પ્રચંડ પ્રકૃતિએ પોતાના હેતુ માટે પોતાની ચૈતન્ય શક્તિમાંથી ઉત્પન્ન કર્યું છે. અને તે પ્રકૃતિ એટલે “મા” મય છે. અને તેનામાં “મા” છે તેવો ભાવ લાવ. “મા” ની “દિવ્ય-શક્તિ” એટલે “નારાયણ-શક્તિ” તારામાં રહેલી છે. તેને જગાડ. આ જગાડવાથી તું દિવ્ય બની શકે છે. તેનો અડગ વિશ્વાસ રાખ. દુનિયામાં આવી પડતા દુઃખથી વિચલિત ન થા. સુખથી છકી ના જા અને અભિમાન ના આવે તેનો ખ્યાલ રાખ. લાભ-અલાભ, માન-અપમાન માં બુદ્ધિ ડગી ના જાય અને સ્થિર રહે તેવી રીતે જીવન જીવ.(૩૨)
  • આ નાશવંત શરીર વહી શકે તે માટે શરીરમાં પ્રકૃતિ એટલે “મા”એ ભાવો મૂક્યા છે. આ બધા ભાવોનું તું નિરીક્ષણ કર અને બુદ્ધિ દ્વારા મનને કાબુમાં રાખી અને મન દ્વારા ભાવોને કાબુમાં રાખી ઉચીત ભાવનો ઉચીત ઉપયોગ કર અને સમગ્ર ભાવો, મન અને બુદ્ધિ “મા” ની દિવ્ય શક્તિ “નારાયણ-શક્તિ” માં સ્થિર કર. “આત્મા” ને “નારાયણ-શક્તિ” માં લીન કર અને સમગ્ર શરીરનો વ્યવહાર આ “નારાયણ-શક્તિ ” દ્રારા થાય તેવી અવસ્થા લાવ. (૩૩)
  • આ અવસ્થા આવ્યા બાદ તારે કંઇ કરવાનું રહેશે નહિ. તારૂં ફક્ત “કલ્યાણ” અને માત્ર “કલ્યાણ” જ થશે.(૩૪)
  • પાના નંબર – ૬૩
  • સમગ્ર ભારતવર્ષને નિહાળ, મહાન ઋષિઓએ પોતાનો જીવનકાળ ખર્ચીને મનુષ્યોને “આત્મા” નું મહાન જ્ઞાન આપ્યું છે. (૩૫)
  • મનુષ્યને “ઇશ્વર” ની ઓળખ આપી છે.(૩૬)
  • “ઇશ્વર” ની ઓળખ માટે ભારત-વર્ષમાં જન્મજાત ગુણો મળે છે. આ પ્રકૃતિની મહાન ભેટ છે. એટલે ભારતમાં જનમ્યાં બદલ મહાન ગૌરવ અનુભવ.(૩૭)
  • “ઇશ્વર” તરફની આ જન્મજાત મળેલ દ્રષ્ટિને તારે વિકસાવવાની છે, અને તને મળતાં મનુષ્યોમાં તે વિકસે તેવું કરવાનું છે. (૩૮)
  • બેટા, મનુષ્ય-ધર્મનું વિશ્લેષણ કરતાં કરતાં વિષયાંતર કરી તેને મારામાં સહેજ ઊંડો લઇ ગયો, પણ શરીરનો અંદરનો વ્યવહાર આ રીતે ગોઠવવો તે મનુષ્ય ધર્મ છે.(૩૯)
  • વળી, આપણા મનુષ્ય વહેણ સાથે અનેક પ્રાણીઓનાં જીવનના સ્ત્રોત પ્રકૃતિ વહાવે છે. આ બધું મનુષ્યના લાભાર્થે જ છે. કઇ જાતનો લાભ તે આપણને ખબર ના પડે પણ પ્રકૃતિની અનંત દ્રષ્ટિએ તે મનુષ્યના ઉત્કર્ષ માટે હોય છે. (૪0)
  • આપણા જીવનના વહેણમાં આપણાથી આ સ્ત્રોતોને જરૂર કરતાં વધુ “ઇજા” ના થાય તેનો સતત ખ્યાલ રાખવો એ મનુષ્ય-ધર્મ છે.(૪૧)
  • “મનુષ્ય” વહે છે, તેના સમૂહથી સમાજ ઉત્પન્ન થાય છે. આ સમાજના ઉત્કર્ષ માટે અને બીજા માનવબિંદુઓના ઉત્કર્ષ માટે આમ બંનેના ઉત્કર્ષ માટે
  • પાના નંબર – ૬૪
  • પોતાની શક્તિની મર્યાદામાં રહીને માનસિક, આર્થિક, શારીરિક યોગદાન કરવું તે મનુષ્ય ધર્મ છે.(૪૨)
  • જેમ ઉર્ધ્વ-ગતિ થાય તેમ “આજુ-બાજુ” નો વિચાર નથી આવતો પણ સમગ્રનો વિચાર આવે છે. તમો વિમાનમાં બેઠા હોવ પછી પોળ, લત્તો વિભાગ ભૂલી જઇ “જો નીચેનું ફલાણું શહેર કેવું દેખાય છે” તેવું કહેશો. પૃથ્વીની ભ્રમણ-કક્ષાની બહાર જશો એટલે “પૃથ્વી કેવી દેખાય છે”. તેવું કહેશો.(૪૩)
  • આ “ઉર્ધ્વ-ગતિ” આધ્યાત્મિક હોય તો તેને પોતાનું જ્ઞાન હોય છે. આ ગતિ “અભિમાન” ના ભાવથી હોય તો તેને પોતાનું ભાન હોતું નથી. એટલો બંનેમાં ફેર હોય છે.(૪૪)
  • “અભિમાન” થી થતી ઉર્ધ્વ-ગતિમાં અનેક મનુષ્યને હાનિ પહોંચાડી અંતે માણસ પોતાની જાતને હાનિ પહોંચાડે છે. જ્યારે આધ્યાત્મિક ઉર્ધ્વ-ગતિમાં દરેકને સુખ અને માત્ર સુખ પહોંચાડતો મનુષ્ય સમગ્ર સમાજનો ઉત્કર્ષ કરે છે.(૪૫)
  • આમ “આધ્યાત્મિક” ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો તે મનુષ્યધર્મ છે.(૪૬)
  • “પ્રકૃતિ” એટલે “મા” માં અગણિત દિવ્ય શક્તિઓ રહેલી છે. શક્તિઓ નિયમબદ્ધ કામ કરે છે. પ્રકૃતિની જડ વસ્તુઓ પણ પ્રકૃતિનાં નિયમોને આધિન છે. આ મહાન પ્રકૃતિનાં મહાન નિયમો શોધીને જડ વસ્તુઓને અને પ્રાકૃતિની શક્તિઓને શોધીને તેનાં નિયમો શોધીને તેને
  • પાના નંબર – ૬૫
  • તેને મનુષ્યનાં કલ્યાણ માર્ગે વાળવી તે મનુષ્ય ધર્મ છે.(૪૭)
  • નિઃસ્વાર્થ ભાવે મનુષ્યધર્મ બજાવતો હરકોઇ મનુષ્ય પ્રકૃતિ માટે ઋષિ છે.(૪૮)
  • નિષ્ઠાથી પોતાની ફરજ બજાવનાર માણસ આ યુગમાં ઇશ્વરીય કામ કરે છે, તેવી દ્રષ્ટિ રાખવી તે મનુષ્ય-ધર્મ છે. (૪૯)
  • નિષ્ઠાથી કામ કરતો મજૂર, ખેડૂત, તડકામાં અને ઠંડીમાં નિસ્વાર્થરૂપે ફરજ બજાવતો પોલીસ, વાહન ચાલક આ જાણે ઇશ્વરીય કામ કરી રહ્યા છે. તેમ નિહાળ.(૫0)
  • તું વહે છે તેમાં તું અનેક ઉપભોગ કરે છે. અનેક સેવાઓ તું લે છે. પ્રકૃતિની અનેક શક્તિઓનો તું તારા જીવન દરમ્યાન ઉપયોગ કરે છે. કેટલાય મનુષ્યોએ કેટલોય શ્રમ કરી, શોધો કરી અનેક સાધનો બનાવી, તારી સેવા માટે કામે લગાડ્યા છે. આ બધી સેવાઓ વ્યક્તિગત રીતે તું ના મેળવી શકત પરંતુ સમગ્ર સમાજના અસ્તિત્વના લીધે તું મેળવી શકે છે તેનો વિચાર કર. આ સમગ્ર સમાજ તને સેવા આપી રહ્યો છે એવો અનુભવ કર. આ સમાજને તારે પણ સેવાઓ આપવી જોઇએ, જેથી બીજા મનુષ્યોને તેરી જેમ જ સુખ ઉત્પન્ન થાય તે મનુષ્ય-ધર્મ છે. (૫૧)
  • તું જે મનુષ્ય-બિંદુ તરીકે ઊભો છે અને જે વહેણમાં વહી રહ્યોછે તે વહેણણાં પહેલા અનેક મનુષ્ય થઇ ગયા. જે તે જમાનાનાં જે તે
  • પાના નંબર – ૬૬
  • મનુષ્યો તે સમગ્ર મનુષ્ય સમાજ માટે ઉપયોગી એવા કાર્યો કરી મનુષ્યોની ખોટી માન્યતાઓ, વહેમો, અંધશ્રદ્ધાઓ દૂર કરી, શોધો કરી તારો અત્યારનો દેખાતો સમાજ લાવ્યા છે. આમ મનુષ્યના વહેણના ભૂતકાળ તરફ નજર કરી પ્રકૃતિની મનુષ્ય સમાજને આગળ વધારવાની ચાલનો અભ્યાસ કરી મનુષ્ય સમાજનાં કલ્યાણની પ્રકૃતિની ચાલમાં સહાયભૂત થવું તે પ્રકૃતિ તરફથી ઉત્પન્ન થયેલા મનુષ્યનો મનુષ્ય-ધર્મ છે.(૫૨)
  • હરહંમેશ વિચારવું કે તારી પાસે મર્યાદિત સમય છે. જીવન-કળ નિશ્ચિત છે. મૃત્યુ એક હકીકત છે. સમયનું વહેણ કોઇપણ રીતે રોકી શકાતું નથી. હર પળ સુવર્ણમય છે. આ પળનું મહત્વ સમજવું અને તેની અંદર સતત કાર્યરત રહી સમય વેડફાઇ ના જાય અને હર પળનો સુંદર ઉપયોગ થાય તે જોવું તે મનુષ્ય-ધર્મ છે. (૫૩)
  • તમારૂં અસ્તિત્વ સમગ્ર મનુષ્ય માટે કલ્યાણમય, આનંદદાયક, ઉન્નતિકારક અને સુખપ્રદાન કરનાર બને તે રીતની જીવનશૈલી બનાવવી તે મનુષ્ય ધર્મ છે.(૫૪)
  • સમગ્ર સમાજનું સમગ્રતયા કલ્યાણ કર્તા મનુષ્યો પછી તે સાધુ હોય, વૈજ્ઞાનિક હોય, રાજકારણી હોય, શિક્ષક હોય કે ગમે તે હોય, તે પ્રકૃતિ તરફથી પ્રકૃતિની અંદરની કલ્યાણકારી મંગળમય શક્તિ “નારાયણ-શક્તિ” નાં દ્વારા પ્રકૃતિની પોતાની મનુષ્યનું કલ્યાણ કરવાની ચાલ માટે ઉત્પન્ન થયેલ મહાન માનવબિંદુઓ છે તેમ માન.(૫૫)
  • પાના નંબર – ૬૭
  • આવા માનવબિંદુઓ પછી તે ગમે તે ધર્મના હોય, ગમે તે રાષ્ટ્રના હોય ગમે તે જ્ઞાતિના હોય તે સમગ્ર મનુષ્ય માટે પૂજનીય છે. તેમના માટે આદરભાવ અને વંદનીયભાવ રાખવો તે મનુષ્ય ધર્મ છે.(૫૬)
  • પ્રકૃતિ તરફથી વહેતા આ માનવબિંદુઓના વહેણમાં તારા થકી કોઇ અંતરાય ઉભો ના થાય, બીજા માનવબિંદુઓ માટે કોઇ દુઃખ ઉત્પન્ન ના થાય અને તું સુખ અને માત્ર સુખ ઉત્પન્ન કરનાર બની રહે તેની સતત કાળજી રાખવી. આ મનુષ્ય ધર્મ છે.(૫૭)
  • પોતાના શરીરની અંદર રહેલ વિવિધ ભાવોનો અભ્યાસ કરી, આ ભાવોને સંયમ દ્વારા મનનાં કાબૂમાં લાવી, મનને બુદ્ધિના કાબુમાં મુકી “આત્મા” એ બુદ્ધિને પણ “નારાયણ શક્તિ” નાં કાબૂમાં મૂકવાનું કાર્ય કરવાનું છે. આ તરફની શરીરની અંદરની ગતિ લાવવાનું કાર્ય તે મનુષ્ય ધર્મ છે.(૫૮)
  • આમ મનુષ્ય ધર્મનું અનંત વર્ણન થઇ શકે. એકવાર તને પ્રકૃતિ દ્વારા વહેતાં વહેણની સમજ આવી જાય, તારા અસ્તિત્વની સમજ આવી જાય, અંદરથી અને બહારથી સમગ્ર પ્રકૃતિને ઓળખી લે એટલે આપોઆપ તું તારી જાતને પ્રકૃતિમય નિહાળીશ અને તને આપોઆપ મનુષ્ય ધર્મની ખબર પડી જશે. પછી હર પળે તારો ધર્મ શું છે તેની તેને ખબર પડશે.(૫૯)
  • હર પળે પ્રકૃતિ તને અમુક બિંદુ ઉપર લાવે છે. તે બિંદુ ઉપર તારૂં અમુક કર્તવ્ય હોય છે. તે તુ સમગ્રતયા સુખ ઉત્પન્ન કરે તે રીતે કર તે તારો મનુષ્ય ધર્મ છે.(૬0)
  • પાના નંબર – ૬૮
  • તારી અંદર તું જાગ્રતતા લાવ કે તું મહાન છે. માનવવહેણનાં કલ્યાણ માટેનું બિંદુ છે. તુ નિર્માલ્ય નથી. પ્રકૃતિએ તારામાં અનેકવિધ શક્તિઓ આપેલી છે. આ તમામ શક્તિઓને તારા જીવનકાળ દરમિયાન જગાડી માનવ સમાજનાં કલ્યાણ માટે અને તારા “આત્મા” ની ઉર્ધ્વગતિ માટે કામે લગાડવાનું કામ તારે કરવાનું છે.(૬૧)
  • આ પછી તારે કઇ પળે શું કરવાનું છે તેનો તને પોતાને અહેસાસ થઇ જશે.(૬૨)
  • “મનુષ્ય-ધર્મ” નું આટલું વિશ્લેષણ તને તારા જીવનનું યોગ્ય માર્ગદર્શન પૂરૂ પાડશે. આથી તારૂં જીવન કલ્યાણકારી બનશે.(૬૩)
  • સમગ્ર માનવબિંદુઓ આ રીતે વર્તે તો સમગ્ર માનવ વહેણ કલ્યાણકારી માર્ગે વહે અને તેમાં પ્રકૃતિ પોતાની અદ્રશ્ય શક્તિઓની સહાય કરે છે.(૬૪)
  • અધ્યાય ૮ મો સંપૂર્ણ